નિષ્કુળાનંદ

નિષ્કુળાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિષ્કુળાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. કારિયાણી ૩ ( para.4)

ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્યે કરીને રહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે.” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે.” કાં જે, એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહિ અને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજ્યામાં એ વાત આવી નથી; કાં જે, જે ગામ જવું નહિ તેનું નામ શું પૂછવું ? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે, તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે ? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહ્યે થકે તો થાય નહિ, માટે સત્સંગમાં રહ્યે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ જે, સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોઈશે. જેમ કોઈ સતી થવાને નીસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગાં પાછી વળવા દે ? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ ને તે જો સુવાસિનીના જેવો વેષ રાખે, તે શું તેના સગાં રાખવા દે ? ન રાખવા દે, તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહિ.” એવી રીતે વાત કરીને શ્રીજીમહારાજ “જય સ્વામિનારાયણ” કહીને શયનને અર્થે પધારતા હવા.

2. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

(કુલ: 2)