વચનામૃત ૪૩ : ચાર પ્રકારની મુક્તિનું

સંવત્ ૧૮૭૬ના મહા સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા જે, “સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે, શ્રીમદ્‌ભાગવત પુરાણમાં કહ્યું છે જે, ‘જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા,’ અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા.’ તે ચાર પ્રકારની મુક્તિ તે શું ? તો (૧) એક તો ભગવાનના લોકમાં રહેવું અને (૨) બીજું ભગવાનને સમીપે રહેવું અને (૩) ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને (૪) ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું; એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે, તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારુ નથી ઈચ્છતો ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો.” પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે

‘मत्सेवया प्रतीतं च सालोक्यादि चतुष्टयम् ।

नेच्छन्ति सेवया पूर्णाः कुतोऽन्यत्कालविप्लुतम् ।।

सालोक्य सार्ष्टिसामीप्यसारुप्येकत्वमप्युत ।

दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जनाः ।।’

એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહિ ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે, ‘अथ विभूतिं मम मायाविनस्तामैश्वर्यमष्टाङ्गमनुप्रवृत्तम् ।

श्रियं भागवतीं वाऽस्पृहयन्ति भद्रां परस्य मे तेऽश्नुवते तु लोके ।।’

અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે, માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય, અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૪૩।।