।। श्रीवचनामृत उपोद्घात प्रकरणम् ।।

: પરથારો :

पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो

जातायोत्तरकोसलेषु दयया सर्वेश्वरेशाय च ।

तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुस्

तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने ।।१।।

ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य ।

प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता ।।२।।

अज्ञानसंज्ञं गहनान्धकारं निजाश्रितस्वान्तगुहागतं यः ।

अपाहरज्ज्ञानदिवाकरः श्रीधर्माङ्गजन्मा जयति प्रभुः सः ।।३।।

प्रोक्तानि यानीह वचोऽमृतानि श्रीस्वामिना तेन निजाश्रितेभ्यः ।

तेषां लिखामः कतिचित्तदीयतुष्ट्यै यथाबुद्धि यथाश्रुतं च ।।४।।

तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभम् ।

कथयामः समासेन तदीयानन्ददायकम् ।।५।।

શ્રી ગોલોકના મધ્યને વિષે ભગવાનનું અક્ષરધામ છે, તે કેવું છે ? તો કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદરૂપ છે; અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે. એવું જે એ અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. તે કેવા છે ? તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. અને વળી તે ભગવાન કેવા છે ? તો ક્ષર-અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વકારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વયંપ્રકાશ છે, સ્વતંત્ર છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટિ મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અને અનંતકોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય; તે રૂપ છે લીલા જેની એવા છે. અને પ્રકૃતિપુરુષ, કાળ, પ્રધાનપુરુષ ને મહત્તત્ત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. ને સદા કિશોર મૂર્તિ છે, ને કોટિ કોટિ કંદર્પ સરખા સુંદર છે, અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે, અને અમૂલ્ય ને દિવ્ય એવા જે નાના પ્રકારના વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે. અને કાનને વિષે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે, અને મસ્તકને વિષે નાના પ્રકારના રત્ને જડિત એવો જે મુકુટ તેને ધરી રહ્યા છે. અને શરદ ઋતુનું જે કમળ તેની પાંખડી સરખા અણિયાળાં છે નેત્રકમળ જેના એવા છે, અને રૂડું એવું જે સુગંધીમાન ચંદન તેણે કરીને ચર્ચ્યાં છે અંગ જેના એવા છે. અને મધુરે સ્વરે કરીને વેણુને વજાડે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શનાદિક આયુધ તથા નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે. અને કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેની એવા છે. અને અનંતકોટિ એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે. અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે, અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિયો તથા વરાહાદિક અવતાર એ સર્વેના ધરનારા છે.

એવા જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આ જે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે ને પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ, ભક્તિ ને મરીચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવના કલ્યાણ કરવાને અર્થે ને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે, કોસલ દેશને વિષે પ્રકટ થતા હવા.

હવે એ ભગવાન જેવી રીતે પ્રગટ થયા છે તે સંક્ષેપે કરીને કહીએ છીએ : એક સમયે મરીચ્યાદિક ઋષિ જે તે બદરિકાશ્રમને વિષે શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરવા સારુ આવતા હવા. તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા શ્રી નરનારાયણનાં દર્શન કરવા આવ્યા. પછી તે ઋષિની સભાને વિષે ઉદ્ધવે સહિત બેઠા એવા જે શ્રીનરનારાયણ ઋષિ તેમનું દર્શન કરીને શ્રીનરનારાયણે માન્યા થકા ધર્મદેવ જે તે તે સભાને વિષે બેસતા હવા. અને મરીચ્યાદિક ઋષિએ શ્રીનારાયણ ઋષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃત્તાંતની વાર્તા, તેને શ્રીનારાયણ ઋષિના મુખારવિંદ થકી એકાગ્ર ચિત્ત થઈને ધર્મદેવ જે તે સાંભળતા હતા તથા તે ઋષિ ને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્ર ચિત્ત થઈને સાંભળતા હતા.

તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રીનારાયણ ઋષિને દર્શને આવ્યા. તેનું કોઈથી સન્માન થયું નહિ માટે તે દુર્વાસા ઋષિ તો એ ધર્માદિક સર્વેને શાપ દેતા હવા જે, ‘મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિષે મનુષ્યપણાને પામો અને ત્યાં અસુર થકી અપમાનને ને કષ્ટને પામો.’ એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણીક પ્રકારના વિનયે યુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા જે, “તમે સર્વે શ્રીનારાયણ ઋષિની વાર્તા સાંભળવાને વિષે આસક્ત હતા માટે મને ન દેખ્યો ને મારુ સન્માન ન થયું, એની મને ખબર નહોતી, તે સારુ મેં તમને શાપ દીધો. પણ તે મારો શાપ તો નિવારણ નહિ થાય. પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરુ છું જે, ‘હે ધર્મદેવ ! તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિષે મનુષ્ય દેહ ધરશો અને ત્યાં આ નારાયણ ઋષિ તમારા પુત્ર થશે અને તમને ને આ ઋષિયોને મારા શાપ થકી મુકાવશે ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે.’ એમ કહીને દુર્વાસા ઋષિ તો પાછા કૈલાસ પર્વતમાં ગયા.

પછી શ્રી નારાયણ ઋષિ જે તે ધર્માદિક સર્વે પ્રત્યે બોલતા હવા જે, “અપરાધ વિના જે આ શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઈચ્છું તો હું સમર્થ છું તે ટળી જાય. પણ હમણાં ભરતખંડને વિષે કળિયુગના બળને પામીને અધર્મ ને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે. તેમના નાશને અર્થે મારી ઈચ્છાએ કરીને જ એ શાપ થયો છે. તે મેં અંગીકાર કર્યો છે. માટે હે ધર્મ ! હું તમારો પુત્ર થઈને તે અસુરોનો ને અધર્મનો નાશ કરીશ ને તમારી સર્વેની રક્ષા કરીશ. ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. માટે તમે કાંઈ ચિંતા રાખશો મા, ને પૃથ્વીને વિષે સર્વે મનુષ્ય દેહને ધારો.” એવા વચન સાંભળીને ને શ્રીનારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા હવા.

હવે ધર્મ ને મૂર્તિ જેવી રીતે પ્રગટ થયા છે તે કહીએ છીએ જે, કોસલ દેશને વિષે ઈટ્ટાર નામે પુર છે. તેમાં સરવરિયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાલશર્મા નામે હતા. તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની તેને વિષે ધર્મદેવ જે તે સંવત્ ૧૭૯૬ (સતરસો ને છન્નુના) કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ મધ્યાહ્ન પછી પ્રકટ થતા હવા. અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાતકર્માદિક સંસ્કારને કરતા હવા અને બારમે દિવસે દેવશર્મા એવું નામ ધરતા હવા. અને તે કોસલ દેશને વિષે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણશર્મા નામે બ્રાહ્મણ તે થકી ભવાની નામે જે તેની પત્ની, તેને વિષે મૂર્તિ જે તે સંવત્ ૧૭૯૮ (સતરસો ને અઠાણું)ના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સાયંકાળે પ્રકટ થતા હવા. તે પછી દિવસે દિવસે મોટા થયા ને શ્રીકૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા, માટે ભક્તિ એવા નામને પામતા હવા. પછી એ ભક્તિના પિતા જે કૃષ્ણશર્મા તે જે તે પોતાની પુત્રી જે ભક્તિ તેનો ધર્મના અવતાર જે દેવશર્મા તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા. અને એ જે પોતાના જમાઈ તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવશર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ તેને આશરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા અને પોતે ધર્મને વિષે અતિ દ્રઢપણે વર્ત્યા, તેને જોઈને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીને જ બોલાવતા હવા.

પછી એ ધર્મ-ભક્તિને અસુર થકી અતિશય કષ્ટ થયું. તેના નિવારણને અર્થે તે ધર્મ-ભક્તિ જે તે વૃંદાવનમાં જઈને મરીચ્યાદિક ઋષિએ યુક્ત થકા શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતા હવા. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને, ધર્મ-ભક્તિ પ્રત્યે બોલતા હવા જે ‘હે ધર્મ-ભક્તિ ! તમને કષ્ટના દેનારા જે અસુરો તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિષે માર્યા હતા. તે મારી ઉપર એમને વૈર છે, માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિરૂપે તમારા થકી પ્રકટ થઈને “હરિકૃષ્ણ” નામે વિખ્યાત થઈશ. અને તમારી ને ઋષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ ને તમને દુર્વાસાના શાપ થકી મુકાવીશ. અને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ.’ એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ ગયા અને ધર્મના હૃદયકમળને વિષે વિરાજમાન થયા પછી તે ધર્મ-ભક્તિ જે તે અતિશય આનંદને પામીને ત્યાંથી પાછા પોતાને ગામ આવીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને કરતા હવા. અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા, માટે સર્વે જન જે તે તેમને ‘હરિપ્રસાદ’ નામે કરીને બોલાવતા હવા.

અને પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સંવત્ ૧૮૩૭ (અઢારસો સાડત્રીશ)ના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ રાત્રિ દશ ઘડી ગઈ ત્યારે પ્રગટ થતા હવા. તે સમયમાં હરિપ્રસાદજીના ઘરને વિષે મોટો ઉત્સવ થતો હવો. અને ઈન્દ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુંદુભિને વજાડતા થકા પુષ્પનો વરસાદ કરતા હવા. અને અપ્સરાઓ જે તે નૃત્ય કરતી હવી. ગંધર્વ જે તે ગાન કરતા હવા. અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા. અને દેવતા ને સાધુના જે મન તે અતિ પ્રસન્ન થતા હવા. અને અસુરનાં જે મન તે તત્કાળ ત્રાસને પામતા હવા. અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હવી ને બાળરૂપ એવા જે હરિ તેને આશિષ દેતી હવી. અને તે સમયને વિષે મંદ, સુગંધ ને શીતળ એવા જે વાયુ તે વાતા હવા. અને તારાના ગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતો હવો. તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રનું જે જાતકકર્મ તે બ્રાહ્મણ પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણને ઘણાક પ્રકારના દાન આપતા હવા.

પછી જન્મથી છઠ્ઠા દિવસને વિષે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળરૂપ એવા જે તે ભગવાન તેને મારવા સારુ આવ્યા. તેમને તે ભગવાન જે તે પોતાની દૃષ્ટિમાત્રે કરીને બાળીને ભગાવી દેતા હવા. પછી ભગવાન ત્રણ મહિના ને અગિયાર દિવસના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેષે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હવા. ત્યારે હરિપ્રસાદજી જે તે તે ઋષિનું અતિશય સન્માન કરીને ને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે, ‘તમે અમારા પુત્રનું નામકરણ કરો.’ પછી તે ઋષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા જે, ‘હે હરિપ્રસાદજી ! આ તમારા પુત્ર જે તે તમારી સર્વ આપદાને હરશે અને જે જન એના આશ્રિત થશે તેમની સર્વે આપદાને હરશે. અને કર્ક રાશિને વિષે એનો જન્મ છે માટે એમનું ‘હરિ’ એવું નામ થશે. અને વળી આ જે તમારા પુત્ર તેના દેહનો કૃષ્ણ વર્ણ છે તથા પોતાના આશ્રિત જનના જે મન તેમને પોતાની મૂર્તિને વિષે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે ‘કૃષ્ણ’ એવે નામે વિખ્યાત થશે. અને એ બે નામ નોખા નોખા છે તો પણ એ બે ભેળા મળીને ‘હરિકૃષ્ણ’ એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર જે તે ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે, માટે ‘નીલકંઠ’ એવે નામે કરીને લોકને વિષે પ્રસિદ્ધ થશે. અને આ જે તમારા પુત્ર તેના હાથને વિષે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિષે વજ્ર, ઊર્ધ્વરેખા અને કમળ તેના ચિહ્ન છે, તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે. અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે ને તમારી સમગ્ર કષ્ટથકી રક્ષા કરશે.’ એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણીક દક્ષિણા ને ભારે ભારે નવા વસ્ત્રો ને આભૂષણ તે આપતા હવા. પછી તે ઋષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારુ ચાલી નીસરતા હવા. અને પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતા હવા. પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળલીલાએ કરીને પોતાના માતાપિતાને ને સંબંધીજનને બહુ આનંદ ઉપજાવતાં થકા બાલચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા. અને તે પછી હરિપ્રસાદજી જે તે તે પોતાના પુત્રને પાંચમે મહિને પ્રથમ પૃથ્વી ઉપર બેસારતા હવા. અને છઠ્ઠા મહિનાને વિષે પ્રથમ અન્ન જમવા શીખવતા હવા. અને સાતમે મહિને કાનને વીંધાવતા હવા. અને ત્રીજું વર્ષ બેઠું ત્યારે ચૌલ સંસ્કાર જે ‘ગર્ભના કેશ ઉતરાવવા’ તે કરાવતા હવા. અને એ જ દિવસે માયાવી એવો જે કાળિદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો. તેને ભગવાને પોતાની દૃષ્ટિમાત્રે કરીને મોહ પમાડ્યો, તે વૃક્ષને વિષે અથડાઈ અથડાઈને મરી જતો હવો.

અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા. અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિષે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા. અને આઠમા વર્ષને વિષે ભારે ભારે સામગ્રીઓને ભેળી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવીત દેતા હવા. અને તે શ્રીહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞોપવીતને પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિષે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા. અને પોતાના પિતા પાસે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા અને એ સર્વમાંથી પોતે ચાર સાર કાઢતા હવા. તેમાં શ્રીમદ્‌ભાગવત પુરાણ થકી તો ‘પંચમસ્કંધ’ ને ‘દસમસ્કંધ’ એ સાર કાઢ્યો તથા સ્કંદપુરાણ થકી ‘વાસુદેવમાહાત્મ્ય’ એ સાર કાઢ્યો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ‘ભગવદ્‌ગીતા’, ‘વિદુરનીતિ’ ને ‘વિષ્ણુસહસ્ત્રનામ’ એ સાર કાઢ્યો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી ‘યાજ્ઞવલ્કયસ્મૃતિ’ એ સાર કાઢ્યો. એવી રીતે એ ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્યે રાખતા હવા. પછી તે શ્રીહરિ જે તે જન્મ થકી અગિયાર વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્યગતિને આપતા હવા. ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા. અને તે પછી કેટલાક માસ ગયા કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્યગતિને પમાડતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા.

અને એવી રીતે ભક્તિ ધર્મ જે તે દિવ્યગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિને પાસે રહેતાં હવા; તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાનાં જે સંબંધી તેને પૂછ્યા વિના જ નિત્ય સ્નાનને મિષે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશાને વિષે તપ કરવા સારુ ચાલી નીસરતા હવા. તે પોતે કેવા છે ? તો બહિર્વાસે સહિત જે કૌપીન તેને ધારી રહ્યા છે. ને મૃગચર્મ ધાર્યું છે, ને પલાશનો દંડ ધાર્યો છે, ને શ્વેત એવું જે યજ્ઞોપવીત તે ધાર્યું છે, ને કંઠને વિષે તુલસીની બેવડી માળા ધારી છે. ને ચાંદલે સહિત જે ઊર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે, ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે, ને કેડને વિષે મુંજની મેખલા ધારી છે. ને હાથને વિષે જપમાળા, કમંડળુ, ભિક્ષાપાત્ર ને જળગરણું; એટલા વાનાંને ધારી રહ્યા છે. ને શાલગ્રામ ને બાળમુકુંદનો જે બટુવો તેને ગળાને વિષે ધારી રહ્યા છે. ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિષે ધારી રહ્યા છે. એવા વેષને ધરતા થકા શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે સરયૂ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા. તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતની તળેટીમાં જે એક મહામોટું વન આવ્યું તેને પામતા હવા. પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતને પામ્યા. ને તે પર્વતને વિષે ચાલતા થકા કેટલેક દિવસે કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું. ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હવા. અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા. તે હિમાલય પર્વતની તળેટીમાં એક મહાઘોર વન આવ્યું, તેને વિષે બાર માસ સુધી વિચરતા હવા, પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે, તે વનને વિષે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળયોગી તેને દેખતા હવા. ને તે યોગી પાસે રહીને અષ્ટાંગયોગને શીખતા થકા એક વર્ષ સુધી રહ્યા. ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધ ગતિને પમાડતા હવા. અને પછી ત્યાંથી ઉત્તરમુખે ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિવારાહ નામે જે તીર્થ તેને પામ્યા. અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિષે સીરપુર નામે જે શહેર તેને પામતા હવા. અને તે શહેરનો રાજા સિદ્ધવલ્લભ નામે મહાધાર્મિક હતો. તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ચોમાસાના ચાર મહિના સુધી ત્યાં રહેતા હવા. અને તે શહેરને વિષે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેમને એવા જે અસુર તેમના મદને હરતા હવા. અને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાને સામર્થ્યે કરીને રક્ષા કરતા હવા. અને વળી તે શહેરને વિષે વેદ, શાસ્ત્ર, પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈક બ્રાહ્મણ હતો, તેણે તે રાજા થકી હસ્તી આદિકનું મહાદાન લીધું, તેણે કરીને તે બ્રાહ્મણ ગૌરવર્ણ હતો. પણ શ્યામવર્ણ થઈ ગયો. પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો. તેને પોતાના સામર્થ્યે કરીને તે પાપ થકી મુકાવ્યો ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણ થતો હવો. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઈક ગામ હતું, તેને પામ્યા. ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણ પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો. તે બ્રાહ્મણ આવીને શ્રીહરિની ઉપર પોતાનું જંત્ર-મંત્ર અભિચાર સંબંધી જે ઘણુંક સામર્થ્ય તેને કરતો હવો; પણ તેણે કરીને પોતે કાંઈ પરાભવ પામ્યા નહિ ને પોતાને સામર્થ્યે કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વતને પામ્યા. જે નવલખા પર્વતને વિષે નવ લાખ સિદ્ધનાં સ્થાનક છે ને નવ લાખ ઠેકાણે અગ્નિની જવાળા નીસરે છે તથા પાણીના કુંડ છે. તે પર્વતને વિષે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઊતર્યા, તે બાળવાકુંડ નામે જે તીર્થ તેને પામતા હવા. અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે ગંગાસાગરના સંગમને પામીને ને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઊતર્યા ને કપિલાશ્રમને પામતા હવા, ને ત્યાં નિત્યે કપિલજીનાં દર્શન કરતા થકા એક માસ સુધી રહ્યા. અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હવા. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા. તે આદિકૂર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા. ને પછી ત્યાંથી મહાવનને વિષે ચાલતા થકા માનસપુરને પામ્યા. અને તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો ને તે રાજા દ્વારે અસુરનો પરાભવ કરાવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રિને પામ્યા. ને ત્યાંથી શિવકાંચી ને વિષ્ણુકાંચી ને પામ્યા. ને ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં જઈને બે માસ સુધી રહેતા હવા. ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિષે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને ને સમુદ્રને વિષે સ્નાન કરીને, નિત્યે રામેશ્વર મહાદેવના દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ નામે જે વિષ્ણુ તેના દર્શન કરીને, ત્યાંથી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેમાં પાંચ દિવસ સુધી ચાલ્યા, પણ કાંઈ અન્ન જળને ન પામ્યા. પછી છઠ્ઠે દિવસે મધ્યાહ્ન સમયે વનમાં એક કૂપ આવ્યો. તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્ય વિધિ કરતા થકા શાલગ્રામની સેવા કરવા લાગ્યા. ત્યારે તે શાલગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું. તે જેટલું પાણી રેડ્યું, તેટલું શાલગ્રામ પી ગયા. તે એમ કરતા કરતા પાંચ-સાત કમંડળુ રેડયાં તે પી ગયા. પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલગ્રામને ચંદનાદિકે કરીને પૂજતા હવા. અને એમ વિચાર કરવા લાગ્યા જે ‘શાલગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ હશે ખરી. પણ આપણી પાસે કાંઈ નૈવેદ્ય ધર્યાનું નથી માટે વિષ્ણુને શું જમાડીએ ?’ એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેષે ત્યાં આવીને પ્રથમથી જ ઊભા હતા. તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલગ્રામની પૂજા કરતા જોઈને તેમને સાથવો ને મીઠું આપતાં હવા. પછી તે સાથવાને જળમાં ચોળીને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા. ને ત્યાં રહી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને, ત્યાંથી કુમારીકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા. ને ત્યાંથી પદ્મનાભ ગયા, ને ત્યાંથી જનાર્દન ગયા. ને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેના દર્શન કરીને, ત્યાંથી મલયાચલ નામે જે કુલગિરિ તેને પામતા હવા. અને ત્યાં સાક્ષીગોપાલ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા પાંચ દિવસ રહેતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા બે માસ સુધી રહેતા હવા. પછી વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા. ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા. ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા. ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઊતરીને મહી નદીને પામ્યા. ને મહી નદીને ઊતરીને તથા સાબરમતી નદીને ઊતરીને ને ભાલ દેશને ઉલ્લંઘીને ભીમનાથ આવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીનાં દર્શન કરીને, પંચતીર્થી કરતા કરતા માંગરોલ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રીહરિકૃષ્ણ ભગવાન તે જે તે, જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિષે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા. અને તે તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાનાં દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિક ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા.

અને પછી ત્યાંથી ચાલ્યા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવત્ ૧૮૫૬ (અઢારસો ને છપ્પન)ના શ્રાવણ વદી ૬ છઠ્યને દિવસ લોજપુરમાં આવતા હવા, અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી, તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા. અને તેમને સાધુ લક્ષણે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા. અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વષે વિરાજમાન એવા જે શ્રીરામાનંદ સ્વામી તેના દર્શન સંવત્ ૧૮૫૬ (અઢારસો ને છપ્પન)ના જ્યેષ્ઠ વદિ ૧૨ દ્વાદશીને દિવસ કરતા હવા. તે સ્વામી કેવા છે ? તો ગૌર ને પુષ્ટ છે મૂર્તિ જેની એવા છે. ને શ્વેત વસ્ત્ર પહેર્યા છે. અને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધરી રહ્યા છે, એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પૂછતા હવા. પછી તે શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતા-પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઈષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા. તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગ યોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો, એ આદિક જે સર્વે પોતાનું વૃત્તાંત, તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તાને સાંભળીને, સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા. ને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, “હે બ્રહ્મચારી ! તમે તો અમારા છો, કેમ જે, તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુ જનને ધર્મ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોસલ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો.’ એવી રીતના જે સ્વામીના વચન તેને સાંભળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે અતિશય પ્રસન્ન થયા થકા, તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત્ ૧૮૫૭ અઢારસો ને સત્તાવનના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા. ત્યારે તે સ્વામીએ ‘સહજાનંદ’ એવું પોતાનું નામ ધર્યું તથા બીજું ‘નારાયણમુનિ’ એવું નામ ધર્યું. પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણમુનિ તેને જોઈને અને પોતાની જે ધર્મધુર તે નારાયણમુનિને સોંપીને, પોતે સંવત્ ૧૮૫૮ (અઢારસો અઠ્ઠાવન)ના માગશર સુદિ તેરશને દિવસ દેહ ત્યાગ કરીને, પાછા બદરિકાશ્રમને વિષે જતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.

પછી શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહક્રિયા તેને યથાવિધિ કરીને, ને ધર્મધુર ને ઉપાડી લેતા હવા. અને શ્રીરામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ, બ્રહ્મચારી ને ગૃહસ્થ હતા તેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા. અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને, પોતાને વિષે તેમના ચિત્તને તાણી લેતા હવા. તે વાર પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાના શિષ્ય જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વીંટાણા થકા સોરઠ, હાલાર, કચ્છ, ઝાલાવાડ, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેમને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા ને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા ને અધર્મનો ઉચ્છેદ કરતા થકા ને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેમનો પરાભવ કરતા થકા વિચરતા હવા.

અને શ્રીજીમહારાજ જે તે, જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન તે શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્વર્યને જોઈને ઘણા આશ્રિત થતા હવા, ને શ્રીજીમહારાજનું પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. પછી શ્રીજીમહારાજ જે તે તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે લક્ષ્મી, રાધિકા અને શ્રીદામાદિક પાર્ષદે સહિત શ્રીકૃષ્ણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો વૈકુંઠલોકને વિષે લક્ષ્મી ને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો શ્વેતદ્વીપને વિષે નિરન્નમુક્તે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મી આદિક શક્તિયો ને પાર્ષદે સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બદરિકાશ્રમને વિષે મુનિએ સહિત નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિષે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો સૂર્યનાં મંડળને વિષે હિરણ્યમયપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અગ્નિમંડળને વિષે યજ્ઞપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો પ્રણવના જે નાદ તેને તત્કાળ સંભળાવતા હવા. અને કેટલાકને તો કોટિ કોટિ સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા. અને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું, ને દ્રષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ, તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષસૂક્તને વિષે કહ્યા એવા જે વિરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ભૂગોળ અને ખગોળ વિષે રહ્યાં જે દેવતાના સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હવા. અને કેટલાકને તો આધારાદિક જે છો ચક્રે તેને વિષે રહ્યા એવા જે ગણેશ આદિ દેવતા તેમને પૃથક્ પૃથક્ દેખાડતાં હવા. અને ક્યારેક તો સોએ સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા. અને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિષે શ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતે પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા. અને ક્યારેક તો દેહને ત્યાગ કરતા એવા જે પોતાના ભક્ત તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઈચ્છતા થકા, ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભક્ત, અથવા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા. એવી રીત્યે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહિ એવા જે જન તેમને પોતાનાં અલૌકિક ઐશ્વર્યને દેખાડતા એવા જે શ્રીસહજાનંદજી મહારાજ, તેને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્યો તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને, ને શ્રીજીમહારાજનો અનન્ય આશ્રય કરીને પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. પછી ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજી મહારાજને જીતવાને કાજે કોઈ સમર્થ ન થયા. પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપને દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે તો પરમેશ્વર છો, માટે અમારા જે જે ઈષ્ટદેવ છે તેના દર્શન અમને કૃપા કરીને કરાવો.’ એવી રીતે જે તેમનું પ્રાર્થનાવચન તેને સાંભળીને તે સર્વેને બેસારીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રીજીમહારાજને દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયા છે નાડી પ્રાણ જેમનાં, એવા થકા પોતપોતાના હૃદયને વિષે પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજીમહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તથા નિંબાર્ક સંપ્રદાયના હતા તથા માધ્વી સંપ્રદાયના હતા, એ ત્રણ તો ગોપીના ગણે વીંટાણાને વૃંદાવનને વિષે રહ્યા ને બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. અને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ, વિશ્વક્સેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા. અને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્તથકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિરૂપે દેખતા હવા. અને જે શૈવી હવા તે તો પાર્વતી ને પ્રમથગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિષે રહ્યા જે હિરણ્યમયપુરુષ તે રૂપે દેખતા હવા. અને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિરૂપે દેખતા હવા. અને જે દેવીના ઉપાસક હતા તેતો દેવીરૂપે દેખતા હવા. અને જૈન હતા તે તો તીર્થંકરરૂપે દેખતા હવા. અને જે યવન હતા તે તો પેગંબરરૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઈષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને જોઈને ને સર્વના કારણ જાણીને ને પોતપોતાના મતનો ત્યાગ કરીને, શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા ને પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન, તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિષે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડા પ્રકારે સ્થાપન કરતા હવા.

અને વળી ધનાઢ્ય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાક અન્નસત્ર કરાવતા હવા. તથા હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ, મહારુદ્ર ને અતિરુદ્રાદિક યજ્ઞ તેને કરાવતા હવા. અને તે યજ્ઞને વિષે હજારો બ્રાહ્મણોને મિષ્ટ અન્ને કરીને તૃપ્ત કરાવતા હવા. અને તે બ્રાહ્મણને બહુ પ્રકારના દાન દેવાડતા હવા. અને સાધુ, બ્રાહ્મણ ને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરાવતા હવા. તથા અધર્મ ને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા. અને શ્રીજીમહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાના માહાત્મ્યે સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેમને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા. એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજીમહારાજ તે જે તે શ્રીગઢડા નગરને વિષે પોતાના ભક્ત એવા જે અભય નામે રાજા ને તેની પુત્રીઓ ને તેનો પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઈને એમને ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા. અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, હુતાશની અને અન્નકૂટ એ આદિક જે ઉત્સવના દિવસ તેને વિષે ભારે ભારે સામગ્રીઓ મંગાવીને, મોટા ઉત્સવ કરાવતા હવા. અને તે ઉત્સવને વિષે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશ વિદેશના જે હરિભક્ત સત્સંગી, તે શ્રીજીમહારાજના દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા. અને નાના પ્રકારના વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ એ આદિક જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજીમહારાજને પૂજતા હવા. અને તે ઉત્સવને વિષે શ્રીજીમહારાજ જે તે નાના પ્રકારની ભોજન સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણને ઘણાક પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા.

એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ :- શ્રીજીમહારાજના બે ચરણારવિંદના તળામાં ઊર્ધ્વરેખા છે; તે કેવી છે ? તો અંગૂઠાની પાસેની જે આંગળીમાં તેની બેય કોરે નીકળી છે ને પાનીને બેય કોરે નીકળી છે. અને જમણા પગના અંગૂઠાનાં થડમાં ઊર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે. અને તે જમણા પગના તળામાં ઊર્ધ્વરેખાની બેય કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જંબૂફળ એમના ચિહ્ન છે. ને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. ને એ જ અંગૂઠાને બાહેરલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે. અને જમણા પગની છેલી આંગળીના બાહેરના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઊર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્ન પાસે પાસે છે. અને વળી એ ઊર્ધ્વરેખાને મળતું જ ફણાના થડામાં એક વ્યોમનું ચિહ્ન છે; અને ડાબા પગનાં તળામાં ઊર્ધ્વરેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. અને બે પગનાં તળાં રક્ત છે. ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે ને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠાને આંગળીઓની ઉપર ઝીણાં ઝીણાં ને કોમળ એવા રોમનાં ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ ઉપર ચાખડીનાં ઘસારાનાં ચિહ્ન છે. અને બે પગની જે બાહેરની ઘૂંટીઓને તેથી હેઠે આસનના ઘસારાનાં ચિહ્ન છે. અને જમણા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે. અને ડાબા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે, ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીંચણને બાહેરલે પડખે એક ચિહ્ન છે. અને કટિભાગને વિષે બે કોરે ધોતિયું પહેર્યાનાં ઘસારાનાં શ્યામ ચિહ્ન છે અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે અને ઊંડી ને ગોળ એવી જે નાભિ તેની બે કોરે તિલ છે. તેમાં જમણી કોરે તો નાભિના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભિથી જરાક છેટે છે. અને જમણી કૂખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ અને નાભિથી ઉપર બે તસુને છેટે ત્રણ તિલ છે, તેમાં બે નળીની ઉપર એક એક છે ને એક વચ્ચે છે; અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે. અને ડાબે પડખે કૂખથી ઊંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે. અને તેની પાસે બાહેરલી કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે. અને હૃદયને વિષે રોમનું શ્રીવત્સચિહ્ન છે. અને છાતીને વચ્ચે અર્ધચંદ્રને આકારે પાંચ તસુ પહોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે, તે જમણી કોરે કાંઈક વિશેષ ચઢતું છે. અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે; અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે. ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે. અને બે સ્તનથી ઉપર બે છાપનાં ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે માંહેલી કોરે ઊભી ઓળ્યે ચાર તિલ છે. અને જમણી ભુજામાં મૂળથી ત્રણ તસું હેઠું એક છાપનું ચિહ્ન છે; ને તે છાપના ચિહ્નને પડખે બાહેરલી કોરે નાના તિલ છે. અને જમણી કૂણીથી હેઠા ને કાંડાથી ઊંચા બે તિલ છે. અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે. અને ડાબી ભૂજામાં મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. અને ડાબી કૂણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે. અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માંહેલી કોરે એક નાનો તિલ છે. અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે. અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે ને તેજસ્વી છે. ને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે. અને બે હાથનાં જે તળાં તે રક્ત છે, ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે. અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઊંચા બે છાપનાં ચિહ્ન છે. અને બે કૂણી શ્યામ છે. અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે અને દાઢીથી હેઠો એક તિલ છે. અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાંસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે. ને એ તિલથી હેઠો એક તિલ છે, ને વળી તેથી હેઠો બીજો તિલ છે. અને કરોડની ડાબી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે. અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે. અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે. અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે. અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે, અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાંપણ્યો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. અને નાસિકાને ઉપર શીળીનાં ચાઠાંનાં ઝીણાં ઝીણાં ચિહ્ન છે. અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની ડાઢ્ય તેમાં શ્યામ ચિહ્ન છે. ને જિહ્વા તે કમળના પત્ર સરખી રક્ત છે. અને ડાબા કાનને માંહિલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે. અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલકને આકારે ઊભી બે રેખા છે. અને વળી લલાટને વિષે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે. અને જમણા કાનની બૂટી ઉપર એક નાનો તિલ છે. અને તાળવાની ઉપર એક મોટો તિલ છે. અને શિખાથી આગળ સમીપે એક તિલ છે. અને શિખાથી પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે. અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે. અને શ્રીજીમહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેણે યુક્ત છે. અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શોભાયમાન છે. અને તે મૂર્તિના દર્શનને કરનારા જે ભક્તજન તેમનાં મનને ને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે. અને તે મૂર્તિ ઘનશ્યામ છે ને શાંત સ્વભાવે યુક્ત છે. અને દુર્ગપત્તનને વિષે શ્રીગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ શ્રીજીમહારાજની મૂર્તિ ઊંચી છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના જે કર-ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કહ્યા છે તેવા છે. આવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યાં છે.

હવે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ : શ્રીજીમહારાજને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રિ રહે ત્યારે ઊઠીને દાતણ કરવાનો સ્વભાવ છે. અને તે પછી સ્નાન કરીને ને ધોયેલું જે કોરું સૂક્ષ્મ વસ્ત્ર તેણે કરીને શરીરને લૂઈને પછી ઊભા થઈને પહેરવાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેને બે હાથે કરીને નિચોવીને પછી સાથળને ને પગને લૂઈને પછી ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણીને પહેરે છે. અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે રુચિ જેને એવા જે શ્રીજીમહારાજ તે, તે પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને ને ચાખડી ઉપર ચઢીને પોતાનો નિત્યવિધિ કરીને જમવા પધારે છે. અને પવિત્ર એવું જે જમવા બેસવાનું સ્થાનક ત્યાં જઈને આસન ઉપર બેસે છે. અને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે. અને જમવા બેસે ત્યારે ઉગમણું અથવા ઉત્તરાદું મુખ રાખીને ને ડાબા પગની પલાંઠી વાળીને જમણો પગ ઊભો રાખીને ને તે ઉપર જમણા હાથની કૂંણી રાખીને જમે છે. અને જમતાં જમતાં વારંવાર પાણી પીવાનો સ્વભાવ છે. અને જમતાં જમતાં પોતાને જે જમ્યાની જણશ સારી સ્વાદુ જણાય તે બીજા કોઈક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને અપાવે છે. અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો કોઈક ભક્તજનની ઉપર પ્રસન્ન થયા થકા પોતાની પ્રસાદીનો થાળ તેને આપે છે અથવા અપાવે છે. અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખભે ખેસ નાખીને ને તે ખેસના છેડાને કેડ સંગાથે તાણી બાંધીને પીરસે છે. અને પીરસે ત્યારે લાડુ, જલેબી આદિક જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે, અને સાધુ-હરિભક્તને જમાડવામાં તથા પીરસવામાં પોતાને જે શ્રદ્ધા, આદર અને પ્રસન્નતા તે ઘણી છે. અને શ્રીજીમહારાજ ક્યારેક તો વર્ષાઋતુ તથા શરદઋતુને વિષે દુર્ગપત્તનને સમીપે ઘેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત ના’વા પધારે છે. અને તે નદીના જળને વખાણતા થકા પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા તે ભક્તજન ભેળા બહુ પ્રકારે જળક્રીડા કરે છે. અને જળમાં ડૂબકી મારે છે ત્યારે પોતાના કાન, નેત્ર અને નાક તેને બે હાથનાં અંગૂઠાને આંગળીએ કરીને દબાવે છે. તથા ડૂબકી મારીને ઝાઝી વાર પછી નીકળે છે, ત્યારે પોતાના મુખારવિંદ ઉપર જમણા હાથને ફેરવીને કોગળા કરવાનો સ્વભાવ છે ! અને ક્યારેક તો નદીના પ્રવાહને મધ્યે ઊભા રહ્યા થકા સાધુની પાસે તાળી વજાડીને કીર્તન ગવરાવે છે ને પોતે પણ તે ભેળા તાળી વજાડતા થકા ઉત્સાહે સહિત કીર્તન ગાય છે. અને જળમાં સ્નાન કરવા પેસે છે તથા સ્નાન કરીને નીસરે છે ત્યારે પોતાને પ્રિય એવો કોઈક ભક્તજન બળવાન હોય તેના હાથને પોતાના હાથે કરીને ઝાલે છે. અને પોતાને દર્શને કરીને હર્ષે યુક્ત છે મુખ જેના એવા જે પોતાના ભક્તજન તેમણે સહિત નદીના જળથી બાહેર નીસરીને નદીના કાંઠાને વિષે ઊભા રહ્યા થકા પ્રથમની પેઠે પહેરેલા વસ્ત્રને નીચોવીને ને શરીરને લૂઈને, ધોળો ખેસ સારી પેઠે તાણીને પહેરે છે. ને પછી ધોળો ફેંટો માથે બાંધે છે. અને માથે ફેંટો બાંધે છે ત્યારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે. તથા ફેંટાના એક આંટાનો પેચ ભ્રકુટિની પાંપણ ઉપર લાવીને બાંધે છે. અને તે પછી ધોળા ખેસને ડાભે ખભે નાંખીને ને તે ખેસના છેડાને કેડ્ય સંગાથે તાણી બાંધીને પછી સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થઈને, હજારો જે પોતાના ભક્તજન તેમણે ચારેકોરે વીંટાણા થકા ને પોતાનાં દર્શનને કરતા જે ભક્તજન તેમના નેત્રને આનંદ ઉપજાવતા થકા પોતાને ઉતારે પધારે છે. અને શ્રીજીમહારાજ પોતે ચાલે છે ત્યારે ધોળી પછેડીને અથવા ધોળા ખેસને ડાબા ખભા ઉપર આડસોડે નાખીને જમણા હાથને હલાવતા થકા ચાલે છે. અને ક્યારેક રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે. અને ક્યારેક તો ડાબા હાથને કેડ્ય ઉપર મૂકીને ને જમણા હાથમાં રૂમાલને લઈને તે જમણા હાથને હલાવતા હલાવતાં ચાલે છે. અને શ્રીજીમહારાજને સહજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે. અને પોતે ચાલે છે ત્યારે પોતાની કેડે ચાલતા જે ભક્તજન તે દોડે ત્યારે માંડ માંડ ભેળે ચાલી શકે એવી રીતે ઉતાવળા ચાલે છે. અને જ્યારે પોતે ચાખડી પહેરીને ચાલે છે ત્યારે ચાખડીના ચટચટ શબ્દ થાય છે. અને ક્યારેક તો પોતે કાંઈક કાર્ય કરવાને તત્પર થયા થકા ઊભા હોય તથા ધીરે ધીરે ચાલતા હોય ત્યારે પોતાના જમણા હાથની મૂઠી વાળીને પોતાના જમણા સાથળમાં ધીરે ધીરે મારવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો ઘણાક માણસની ભીડ થાય છે ને રજ ઊડે છે ત્યારે પોતાની નાસિકા ને મુખારવિંદ તેને આડો રૂમાલ દે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર બેસે છે, ને ક્યારેક તો ઓછાડે સહિત ગોદડું પાથર્યું હોય તે ઉપર બેસે છે ને ક્યારેક તો ગાદી ઉપર બેસે છે, ને ક્યારેક તો ચાકળા ઉપર બેસે છે, ને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડ્યો હોય તે ઉપર બેસે છે. અને બેસે ત્યારે ક્યારેક તો પલાંઠી વાળીને બેસે છે; ને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસે છે. અને જ્યારે જ્યારે બેસે ત્યારે બહુધા તો તકિયાનું ઉઠિંગણ કરીને બેસે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઉઠિંગણ કરીને ને પોતાના પગને લાંબા કરીને ને પગ ઉપર પગને મૂકીને બેસવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની ઊર્ધ્વરેખા ઉપર પોતાના જમણા હાથની આંગળીને ઊભી ફેરવે છે. અને ક્યારેક તો પોતાની જીભને એક કોરના દાંત તળે દબાવીને બેસવું એવો સહજ સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા પોતાની ડોકને બે પાસે મરોડીને કડાકા વગાડે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની પાસે પોતાના વાંસાને દબાવે છે ત્યારે હૈયાની તળે તકિયો રાખીને દબાવે છે. અને શ્રીજીમહારાજ જ્યાં જ્યાં સહેજે બેઠા હોય ત્યારે તુલસીની માળાને ફેરવે છે અને ક્યારેક તો રમતની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે. અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથનાં તળાં વચ્ચે રાખીને ઘસે છે. અને ક્યારેક તો માળા ન હોય ત્યારે પોતાના હાથની આંગળીના પર્વને ગણે છે. અને ક્યારેક તો નેત્રકમળને મીંચીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો નેત્રકમળને ઉઘાડા રાખીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે. અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્રને વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે. અને ક્યારેક તો ચપટી વગાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે. અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે. અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેમને સમીપે જાય છે. અને કથા વંચાવતા હોય ત્યારે વારંવાર ‘હરે’ એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે. અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિષે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક ‘હરે’ એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે. ને તેની સ્મૃતિ થાય છે ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઈને મંદ મંદ હસે છે. અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા કરાવતા હોય અથવા કીર્તન ગવરાવતાં હોય અથવા કાંઈક વિચારમાં બેઠા હોય ને તે વચમાં કોઈક જમ્યાનું પૂછવા આવે અથવા કોઈક પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઈ જાય છે.

અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તે સંબંધી જે જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે. અને ક્યારેક તો યોગ, સાંખ્ય, પંચરાત્ર, વેદાંત ઈત્યાદિક જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા તે ભક્તજનની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરે છે ત્યારે પ્રથમ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને તાળી વજાડીને સર્વેને છાના રાખીને વાર્તા કરે છે. અને ક્યારેક તો ઘણાક ભક્તજનના સમૂહની મોટી સભા થઈ હોય ને તેમની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરવી હોય ત્યારે છેટેથી પણ સંભળાય તેને અર્થે પોતે ઊભા થઈને, ને તાળી વજાડીને, સર્વેને છાના રાખીને વાર્તા કરે છે. અને ક્યારેક તો તે વાર્તા કરવાને વિષે એકાગ્રચિત્તે કરીને પોતાને ઓઢવાનું વસ્ત્ર ખસી જાય તેની પણ સૂરત રહેતી નથી એવો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા પોતાના મુખારવિંદને સમીપે બેઠા જે સાધુ તથા હરિભક્ત તેમને પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરાવે છે. ને તેમાં કોઈક કઠણ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર ન આવડે તો સર્વેને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે છે. અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઈક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાંખે છે. અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પોતાના રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમણે પ્રીતિએ કરીને કરી જે મોટી પૂજા તેનો અંગીકાર કરે છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાની પૂજા કરવા સારુ ઘણાક હરિભક્ત ભેળા થઈને આવે છે ત્યારે તેમણે ચઢાવ્યા જે પુષ્પના હાર, તેને પોતાના બે હાથે કરીને ગ્રહણ કરે છે, તથા ચરણારવિંદે કરીને ગ્રહણ કરે છે, તથા છડીએ કરીને ગ્રહણ કરે છે.

અને ક્યારેક તો પોતાના દર્શન માત્રે કરીને પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે, ને ક્યારેક તો તે સમાધિમાંથી તત્કાળ ઉઠાડે છે. અને ક્યારેક તો પોતે સભામાં બેઠા હોય ને કોઈક ભક્તજનને પોતાની પાસે તેડવો હોય ત્યારે નેત્રકમળની સાને કરીને અથવા અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તને બોલાવી લે છે. અને ક્યારેક તો મોગરા આદિક પુષ્પના હારને તથા લીંબુ આદિક જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખ ઉપર વારંવાર અડાડે છે. અને ક્યારેક તો પોતે ભગવત્કથા કરાવીને સાંભળે છે અથવા પોતે કથા કરે છે. અથવા પોતે ભગવદ્વાર્તા કરે છે અથવા કીર્તન ગવરાવીને તે ભેળા પોતે ગાય છે. અથવા મંદિર કરાવે છે. અથવા સાધુ બ્રાહ્મણને જમાડે છે. ઈત્યાદિક સત્ક્રિયા કર્યા વિના ક્યારેય નવરું ન રહેવું એવો સ્વભાવ છે. અને પોતે ભક્તિ-ધર્મ સંબંધી જે જે કાર્યનો આરંભ કરે છે તેને સંપૂર્ણ કરવામાં પોતાને શીઘ્રપણું ઘણું છે. અને છીંક ખાવી હોય ત્યારે પ્રથમથી પોતાના રૂમાલને ખોળીને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છેટે સંભળાય એવી રીતે ઊંચે સ્વરે છીંક ખાય છે. અને જ્યારે જ્યારે એવી છીંક ખાય છે ત્યારે બે-ત્રણ ભેળી છીંક ખાય છે. અને જ્યારે પોતે બગાસું ખાય છે ત્યારે ‘હરિ હરિ હરિ’ એવા શબ્દનું ઉચ્ચારણ કરતા થકા, પોતાને હાથે કરીને નેત્રકમળને બે-ત્રણ વાર ચોળે છે. અને નિષ્કામભક્તે કરી જે પોતાની સેવા તેને વિષે છે રુચિ જેની એવો પોતાનો સ્વભાવ છે અને કાંઈક રમૂજે કરીને અતિશય હસે છે ત્યારે હાથે કરીને પોતાના રૂમાલને મુખારવિંદ આડો દઈને હસે છે. અને ક્યારેક તો દેશાંતર થકી પોતાના સમીપે આવ્યા જે સાધુ તથા પોતાને પ્રિય એવા ભક્તજન તેમને જોઈને પ્રસન્ન થયા થકા તત્કાળ ઊઠીને તેમને બાથમાં ઘાલીને મળે છે. ને તેમને તે તે દેશના સમાચાર પૂછે છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાને સમીપે રહીને, પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતાં જે સાધુ તેમને પ્રસન્ન થઈને મળે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પોતાના બે હાથ મૂકે છે, અને ક્યારેક તો પ્રસન્ન થઈને કોઈક ભક્તજનના હૃદયને વિષે પોતાના ચરણારવિંદનું ધારણ કરે છે. અને ક્યારેક તો પોતાની આજ્ઞાને તત્કાળ પાળવાને ઈચ્છતો થકો તત્પર થયો જે કોઈક ભક્તજન તથા તે પોતાની આજ્ઞાને રૂડી રીત્યે પાળીને આવ્યો જે કોઈક ભક્તજન, તેને જોઈને તેની ઉપર પ્રસન્ન થયા થકા તેના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપે છે. અને ક્યારેક તો કોઈક ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેને પોતાની પ્રસાદી પુષ્પના હાર આપે છે, તથા તોરા બાજુબંધ આપે છે, તથા પોતાના વસ્ત્ર-આભૂષણ આપે છે. અને અતિશય ઉદાર છે સ્વભાવ જેમનો એવા જે શ્રીજી મહારાજ તે પોતાને અતિશય પ્રિય એવું જે પદાર્થ તે ભારે મૂલ્યવાળું હોય તો પણ તેને દેવાનો મનમાં સંકલ્પ કરતા થકા તત્કાળ સત્પાત્રને દેઈ દે છે, પણ વાર લગાડતા નથી, એવો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતાના હાથ પગની જે આંગળીયો તેને મરડીને કડાકા વગાડે છે અને ક્યારેક તો પોતાને સમીપે બેઠા જે ભક્તજન તેમની પાસે પોતાના હાથ પગની આંગળીયોને મરડાવીને કડાકા વગડાવે છે. અને ક્યારેક તો કોઈ પ્રાણીને દુઃખીયો દેખીને અથવા સાંભળીને તત્કાળ દયાએ યુક્તથકા ‘રામ રામ રામ’ એવી રીત્યે બોલવાનો સ્વભાવ છે. અને વળી ક્યારેક તો હરકોઈ મનુષ્યને દુઃખીયો દેખીને દયાએ કરીને પોતાના ચિત્તમાં ખેદને પામતા થકા પ્રસન્ન થઈને, તે મનુષ્યનું દુઃખ ટળે એવી રીતે અન્ન વસ્ત્રાદિક પદાર્થે કરીને ઉપકાર કરે છે. અને ક્યારેક તો કોઈકને કોઈ મારતું હોય તેને દેખીને દયાએ કરીને તેને ન દેખી ખમતા થકા તત્કાળ હોંકાર કરીને તેનું નિવારણ કરે છે. અને ક્યારેક તો પોતાની આગળ કોઈક તો સાધુનું અથવા કોઈક હરિભક્તનું કોઈ ઘસાતું બોલે તેને સાંભળીને તેની ઉપર પોતે કચવાઈ જાય છે, ને તેનો અનાદર કરીને ઠપકો દે છે. અને ક્યારેક તો પોતાના શરીરમાં કાંઈક કસર જેવું હોય ત્યારે પોતાના ડાબા હાથની આંગળીએ કરીને જમણા હાથની નાડીને જુવે છે અને પોતે જ્યારે સભામાંથી ઊઠે છે ત્યારે ‘જય સચ્ચિદાનંદ’ અથવા ‘જય સ્વામિનારાયણ’ એમ કહીને, ને સાધુને નમસ્કાર કરીને ઊઠવાનો સ્વભાવ છે. અને જ્યારે પોતે પંથને માર્ગે ઘોડે ચડીને ચાલે છે, ત્યારે ક્યારેક તો લીલાએ કરીને ઘોડાની ડોક ઉપર પોતાના એક પગને લાંબો નાંખીને ઘોડાને ચલાવે છે. અને સૂવે ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે આંગળીઓ તે તિલક કરવાની પેઠે ભાલને વિષે ઊભી ફેરવે છે. ને સૂવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લઈને ફેરવતા થકા સૂવે છે. અને પોતે પોઢે છે ત્યારે પોતાનું મુખારવિંદ ઉઘાડું રાખીને પોઢવાનો સ્વભાવ છે. અને પોતે ભરનિદ્રામાં સૂતા હોય ને કોઈક જરાક અડી જાય તો તત્કાળ ઝબકીને જાગી જાય છે ને “કોણ છે ?” એમ તેને પૂછે છે.

આવી રીત્યે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે. ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે. એવા જે શ્રીજીમહારાજ તેમણે શ્રીગઢડામાં રહ્યા થકા પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પોતાની મહાત્મ્યે સહિત ભક્તિ એ પાંચ વાર્તા સંબંધી જે જે વચનામૃત કહ્યા છે, તથા ત્યાંથી બીજા ગામમાં જઈને જે જે વચનામૃત કહ્યા છે, તેમાંથી કેટલાક દિવસનાં જે વચનામૃત, તે શ્રીજીમહારાજના જે એકાંતિક ભક્ત, તેમની પ્રસન્નતાને અર્થે પોતાની જે સ્મૃતિ ને બુદ્ધિ તેને અનુસારે લખીએ છીએ.

समासतः प्रोक्तमिदं चरित्रं श्रीधर्मसूनोरिह यो मनुष्यः ।

पठिष्यति श्रोष्यति वापि भक्त्या स लप्स्यते वै पुरुषार्थसिद्धिम् ।।

।। ઇતિ શ્રી ઉપોદ્ઘાત પ્રકરણમ્ ।।