અષ્ટાવરણ

અષ્ટાવરણ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અષ્ટાવરણ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. કારિયાણી ૮ ( para.3)

ત્યારે કોઈને એમ આશંકા થાય જે, “ભગવાન નિર્ગુણરૂપે તો અતિસૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે, અને સગુણરૂપે તો અતિસ્થૂળ કરતા પણ સ્થૂળ છે, ત્યારે એ બેય રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે ?” તો તેનો ઉત્તર એ છે જે, “પ્રકટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે, અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારુ અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા જે ભૂમાપુરુષ; તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા; ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળભાવે યુક્ત હતા પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિસૂક્ષ્મ અને ચૈતન્યરૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિષે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડ્યું અને અર્જુન વિના જે બીજા હતા તે તો સાડાત્રણ હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામનાવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામનરૂપે દર્શન આપ્યું, અને ત્રણ પગલા ધરતી બળિ પાસે શ્રીકૃષ્ણાર્પણ કરાવ્યા પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું, જે સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું તેણે સાત સ્વર્ગને વેંધીને અંડકટાહ ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળિ રાજાએ દીઠું અને બળિ વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિષે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય, એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાંએ રહિત હોય અને જ્યારે વર્ષાઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાંની ઘટાએ કરીને ભરાઈ જાય છે, તે કાળે કરીને આકાશમાં વાદળાં ઊપજે છે ને પાછા લીન થઈ જાય છે, તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રકટ કરીને પાછું પોતાને વિષે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્વર્ય રહ્યા કરે છે.”

2. લોયા ૨ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે, એ જ કારણમાં મોટાઈ છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિક બીજા ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે. અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે; તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે; અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે; તેમ સર્વના કારણ એવા જે શ્રીપુરુષોત્તમનારાયણ શ્રીકૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંતકોટિ બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે, ‘જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે?’ એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિષે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે; તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે; તે અષ્ટાવરણ ને ચૌદ લોક સૂધાં રહ્યાં છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે. તેને સમજુ હોય તે જાણે જે, ‘ભગવાન મનુષ્ય જેવા જણાય છે તોપણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે.” એમ કહીને શ્રીજીમહારાજ શયન કરવા પધાર્યા.

3. લોયા ૧૨ ( para.3)

અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

4. ગઢડા મધ્ય ૩૧ ( para.2)

અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.

5. ગઢડા મધ્ય ૪૨ ( para.2)

પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કેવી રીતે રહ્યાં છે ? અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે : એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિષે નાના થઈ જતાં નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટ્યપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે, તે મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય છે; તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશય મોટ્યપ છે, તેની આગળ અતિ નાના દેખાય છે, માટે અણુ સરખા કહેવાય છે. અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દશે દિશાઓ કલ્પાય છે, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર, હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટિઓ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્યસંકલ્પ છે. અને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા; તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ, ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે.”

(કુલ: 5)