પૂર્વસંસ્કાર

પૂર્વસંસ્કાર

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પૂર્વસંસ્કાર" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૫૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ, તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ, તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.”

2. ગઢડા પ્રથમ ૭૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ.” પછી સંતે કહ્યું જે, “પૂછો, મહારાજ !” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે; માટે એ આઠેમાં પૂર્વસંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, જો સારાં પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્મ આવે ને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિષે જન્મ આવે, તેમ જ કાળાદિક સાત છે તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય અને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે.”

(કુલ: 2)