વચનામૃત ૨૯ : ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું

સંવત્ ૧૮૭૯ના ફાગણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય જે, ‘પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીસરે, તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી, એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય.’ એવી જાતના જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દ્રઢ આસક્તિ થઈ જાણવી.”

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ ભગવાનને વિષે દ્રઢ આસક્તિ શા થકી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે; એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા મધ્યનું ।।૨૯।।૧૬૨।।