વચનામૃત ૩૭ : સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું-જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું

સંવત્ ૧૮૮૦ ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ગીતામાં કહ્યું છે જે, ‘જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ, તેનું જોર ચાલે નહિ;’ માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે, તે શે ઉપાયે કરીને ટળે ?” પછી સર્વ જે મુનિ મંડળ, તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને તે ઉપદેશનો કરનારો હોય, તે ગમે તેટલા દુઃખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે, તે પણ નાશ થઈ જાય; પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુઃખાવું નહિ ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા મધ્યનું ।।૩૭।।૧૭૦।।