વચનામૃત ૯ : ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૯।।

વચ3નામૃત ૧૦ : કૃતઘ્નીનું - સેવકરામનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ્ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડ્યો. તેની પાસે રૂપિયા હજારની સોનામહોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહિ, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે, ‘કાંઈ ચિંતા રાખશો મા, તમારી ચાકરી અમે કરીશું.’ પછી ગામને બહાર એક કેળાંની ફૂલવાડી હતી તેમાં એક વડનું વૃક્ષ હતું. તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટબેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો, તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ, ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે, ‘અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો.’ પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો. અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે, ‘ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહિ.’ માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહિ. પછી અમે તેને કૃતઘ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતઘ્ની જેવો પાપી જાણવો.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૧૦।।