વચનામૃત ૨૮ : અર્ધબળ્યા કાષ્ઠનું-વધવાઘટવાનું

સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી.

તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે, ‘સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું’ એમ સર્વથી અધિક પોતાને જાણે, અને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહિ, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ અને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે, ‘એ સત્સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે.

અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે, ‘શુભ વાસના વૃદ્ધિ પામી છે’ અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટ્યપને પામી જાય છે.” એવી રીતે શ્રીજીમહારાજ વાત કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને આસને પધાર્યા.

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૨૮।।