અયોધ્યાપ્રસાદ

અયોધ્યાપ્રસાદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અયોધ્યાપ્રસાદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૬૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી, તેમને બોલાવીને કહ્યું જે, “તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સંસારને વિષે એવો પુરુષ હોય જે, આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય-અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે. એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એનો એ જ ઉત્તર છે.”

2. ગઢડા અંત્ય ૧૪ ( para.4)

પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે, “એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય; અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દૃઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે; તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય, જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીખા જ થાય ને લીંબડો કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય. શા માટે જે, એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાંખીને કડવું પાણી સિંચ્યા કરીએ, તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે.”

(કુલ: 3)