કૃતઘ્ની

કૃતઘ્ની

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કૃતઘ્ની" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ્ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડ્યો. તેની પાસે રૂપિયા હજારની સોનામહોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહિ, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે, ‘કાંઈ ચિંતા રાખશો મા, તમારી ચાકરી અમે કરીશું.’ પછી ગામને બહાર એક કેળાંની ફૂલવાડી હતી તેમાં એક વડનું વૃક્ષ હતું. તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટબેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો, તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ, ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે, ‘અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો.’ પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો. અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે, ‘ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહિ.’ માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહિ. પછી અમે તેને કૃતઘ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતઘ્ની જેવો પાપી જાણવો.”

2. ગઢડા પ્રથમ ૭૮ ( para.8)

પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરોસો આવે છે જે, “આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે એ પાછો નહિ પડે, એવો જે ભરોસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે ?” એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે જે, “જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા-સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે, ‘આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે.’ તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય જે, ‘એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી’ અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેની સાથે પોતાને ન બન્યું, ત્યારે બીજા પાસે જઈને રહે, તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ. ત્યારે સર્વે સંતને એમ સમજાય જે, ‘આ તો કૃતઘ્ની નથી જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી; માટે બહુ રૂડો સાધુ છે.’ એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય જે, ‘આ કૃતઘ્ની પુરુષ છે, તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે.’ પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.”

(કુલ: 5)